પ્રશ્ન એ છે કે સાચું શું? કયો માર્ગ સાચો? સચ્ચાઈ નો માર્ગ કેમ પારખવો?
આપણાં હાથમાં છે એ આપણું કે આપણાં હક્કનું ? સામાન્ય રીતે હાથમાં આવેલી દરેક વસ્તુને આપણે પોતાની સમજીયે છીએ, એ પછી ભલે ને કોઈપણ રીતે મેળવેલી હોય! છળકપટ, પ્રપંચ, અનીતિ કે ભ્રષ્ટાચારથી પણ પામેલી વસ્તુ હાથમાં આવી ગયા પછી એ આપણાં હાથ માંથી છૂટતી નથી. ચોરના ઘરે ચોરી થાય તો શું ચોર દુઃખી થાય? હકીકતે તો એણે ન થવું જોઈએ, એમ પણ એ ક્યાં એનું હતું? પણ ચોર વધારે દુઃખી થાય છે કારણ કે પોતાની જાનના જોખમે કરેલી ચોરી હવે કોઈ બીજું ચોરી ગયું. ક્રોધાવેશમાં આવી હવે એ ચોર વધુ મોટી લૂંટ માટે તત્પર થાય છે. ચોર જેને પોતાનો હક્ક સમજે છે શું એ સાચે એનો છે? આપણે જીવનમાં પણ આવા ઘણાં વળાંક આવે છે જયારે આપણો સાચો અધિકાર શું છે એ સમજવામાં આપણે નિરર્થક નિવડિયે છીએ અને એને પરિણામે ખોટા નિર્ણયો લઈએ છીએ. આપણાં ઈરાદા શુદ્ધ નથી હોતા છતાં બીજા લોકો આપણને લાલચી,સ્વાર્થી અને અપ્રમાણિક લાગે છે. આખું મહાભારત અધર્મ અને ધર્મની(સત્ય/અસત્ય) લડાઈ માટે થયું હતું. મહાભારતના લગભગ દરેક પાત્રએ ક્યાંક ને ક્યાંક અધર્મનો સહારો લીધો છે. એ કર્ણ, અર્જુન, ભીમ, દુર્યોધન કે પછી કેશવ પણ કેમ ન હોય. પરંતુ અધર્મ કરવા પાછળનો હેતુ શું છે એ સમજવું અત્યંત જરૂરી છે. અર્જુને કર્ણની પીઠ પર વાર કર્યો એ ખોટું હતું પણ કર્ણ અધર્મની સાથે હતો એ પણ એક સત્ય હતું. જો કર્ણ પોતાના મન સમીપ જઈને પોતાનેજ પ્રશ્ન કરે તો સાચો જવાબ એને મળી રહે કે અર્જુનનો હેતુ કદાચ ‘પ્રામાણિક’ હતો. મહાભારતમાં શું સાચું છે અને શું ખોટું છે એ સ્પષ્ટપણે સમજાવાયું નથી, એ વાંચનાર, સમજનાર પર છોડી દેવાયું છે અને એટલેજ એનું મહત્વ છે. શું સાચું કે શું ખોટું એ કોઈને પૂછવું એ તો મૂર્ખામી છે. એ પ્રશ્નોનો જવાબ આપણાં અંતઃકરણ સિવાય બીજા કોઈજ પાસે નથી.
પરમાત્માના બાહ્ય સ્વરૂપમાં આપણે મહાવીર, બુદ્ધ, કૃષ્ણ, રામ કે મોહમ્મદના જુદા જુદા ચહેરા જોઈએ છીએ પણ અંતરાત્માનો ચહેરો દરેક વ્યક્તિમાં સમાન જ છે. પરમાત્માનું એકજ વિશ્વવ્યાપી રૂપ છે ‘આપણી અંતરાત્મા’ કે ‘કોનસાઈન્સ’.આપણું અંતર મન આપણાં આત્માનો અરીસો છે, સચ્ચાઈનો અગાઢ સાગર છે, વિશ્વાસપાત્ર માર્ગદર્શક છે,આપણાં બધાજ પ્રશ્નોની ઉત્તરવહી છે. કોઈપણ કાર્ય કર્યાં પછી જો મન ગ્લાનિ અનુભવે તો સમજી લેવું કે કરેલ કામમાં કોઈ ક્ષતિ જરૂર છે અને જો મન પ્રફુલ્લિત કે હળવું થાય તો સમજવું કે કાર્ય નીતિમત્તાથી પાર પડ્યું છે. આ જગતમાં એવી એકપણ વ્યક્તિ નહિ હોય જેને ક્યારેય પોતાના અંતરાત્માનો અવાજ ન સાંભળ્યો હોય. હાં, એ અવાજની અવગણના જરૂર કરી હશે, એક નહિ અનેક વાર! એ પરમાત્માનો ઉપકાર જ છે કે આપણને દર વખતે એક સંકેત આપે છે, સાચાં-ખોટા, નૈતિક-અનૈતિક,પ્રામાણિક-અપ્રમાણિક કાર્યો વચ્ચે જયારે આપણે પસંદગી કરીએ છીએ ત્યારે એ એક ઈશારો જરૂર કરે છે. અલબત્ત,નિર્ણય કરવાની જવાબદારી આપણાં પર છે. રાજકારણી જયારે ભ્રષ્ટાચાર આચરે, એક ડૉક્ટર જયારે ગેરમાર્ગે દોરે, એક ઉદ્યોગપતિ જયારે કૌભાંડ યોજે, એક વ્યાપારી જયારે છેતરપિંડી કરે, એક મનુષ્ય જયારે બીજાનો ફાયદો ઉઠાવે, એક માણસ જયારે અપરાધ કરે ત્યારે શું એમનો અંતરાત્મા એમને ચેતવણી નહિ આપતો હોય? એ કદાચ પ્રતિરોધ પણ કરતો હશે પણ માનવી દુન્યવી લાલચો, સ્વાર્થવૃત્તિ અને પોતના રાજસી અને તામસી કર્મોને આધીન થઇ અધર્મના માર્ગે ચાલતા અચકાતો નથી. અવિરત લોભ, તૃષ્ણા અને ક્રોધમાં ડૂબી બિનજરૂરી ભેગું કરવામાં અને લોકોને લૂંટી, ત્રાસ આપવામાં એ તલ્લીન હોય છે. સાસુ જયારે દિકરી અને વહુમાં ફર્ક કરે, દિકરો જયારે બાપનું અપમાન કરે, માં-બાપ છોકરાઓના જીવનમાં હસ્તક્ષેપ કરે, વહુ જયારે કુટુંબને વિભાજિત કરે, માણસ જયારે સારા હોવાનો ડોળ કરી વિશ્વાસઘાત કરે ત્યારે મનથી દરેક જાણતાં હોય છે કે એ યોગ્ય નથી કરી રહ્યાં,પરંતુ,આપણે અંતરને હરાવીને આપણાં અનુચિત કર્મોને જીતાડીએ છીએ. માણસ જયારે વસિયતનામું બનાવે છે ત્યારે પણ મનનું નહિ પણ મગજનું સાંભળી દાવપેચ કરે છે. જાત જતી રહે છે પણ પોતાના સ્વભાવનો પ્રભાવ છોડતાં જાય છે. મન અને મગજ વચ્ચે હંમેશા યુદ્ધ ચાલ્યા કરે છે. મન મગજની ગણતરી નથી સમજતું અને મગજ મનની લાગણીઓ. આપણો અંતરાત્મા આપણાં મગજની બધીજ નગ્ન હકીકતો જાણતો હોય છે એટલેજ આપણે એકાંતથી ડરીએ છીએ. આપણાં અનૈતિક,આડંબર અને કુટિલતાથી કરેલા કૃત્યો એકાંતના સમયમાં આપણાં વિચારોમાં ભમે છે. આવા કૃત્યો કર્યાં પછી એવો કોઈ પણ મનુષ્ય નહિ હોય જેને પરમ સુખ કે શાંતિ મળી હોય. હાં, દુનિયાની નજર સમક્ષ કદાચ એ રૂપિયા અને હોદ્દાવાળો, પ્રસિદ્ધ કે હોંશિયાર લાગે પણ અંદરથી એ ખિન્ન, લજ્જિત અને નિર્જન હોય છે. અસલામતીથી ભયભીત અને સંતાપથી બળતો હોય છે. પોતાના દુષિત કર્મોને ધોવા માટે દાન અને ધર્માદા કરે છે છતાં મનને શાંતિ નથી અર્પી શકતો.
કહેતે હૈ: રૂહ પર ભી દાગ આ જાતે હૈ, જબ દિલોં મે દિમાગ આ જાતે હૈ!
એક વિદ્વાનના સો જેટલા શિષ્યો હતા. બધાજ નિયમિત સમય પર પ્રાર્થના અને ધ્યાન કરતા સિવાય એક, જેને દારૂની લત હતી. જયારે આ ગુરુને ભાસ થયો કે એનું મૃત્યુ નજીક છે ત્યારે એમણે આ દારૂડિયા શિષ્યને બોલાવી પોતાના ધ્યાન અને વિધિઓના બધાંજ ગુપ્ત રહસ્યો એને શીખડાવ્યાં અને ગૂઢ જ્ઞાન પ્રદાન કર્યું. બીજા શિષ્યોએ એમના ગુરુ વિરુદ્ધ પ્રતિકાર દર્શાવ્યો. એમણે કહ્યું, અમે બધુંજ છોડીને એવા ગુરુ માટે બલિદાન આપ્યું જે અમારા ગુણોને પારખી જ ન શક્યાં. ત્યારે ગુરુએ જવાબ આપ્યો, મારે એવા શિષ્યને જ્ઞાન પ્રદાન કરવું હતું જેને હું સારી રીતે ઓળખતો હોઉં. જે લોકો સામાન્ય રીતે સદાચારી અને સદ્ગુણી લાગતાં હોય એ લોકો પોતાનો અહમ, અસહિષ્ણુતા અને દોષોને છુપાવતાં હોય છે. એટલે મેં એવા શિષ્યને પસંદ કર્યો જેના દોષો અને અવગુણો હું જાણું છું, એ મદ્યપાન કરે છે પણ પ્રત્યક્ષ છે, એના દુર્ગુણો છુપાવતો નથી. સાચાં હોવા કરતા પણ વધારે જરૂરી પારદર્શક હોવું છે, કારણ કે જે પ્રત્યક્ષ છે તેને પોતાના અંતરાત્મા સાથે ચોક્કસ સુમેળ હોય છે. કોઈ એક આદત ખરાબ હોવાથી માણસ ખરાબ નથી બની જતો, પરંતુ જો મનમાં દ્વેષ હોય તો સારી આદતો ધરાવતો અને સારું આચરણ કરતો માણસ પણ દુર્જનથી ઓછો નથી હોતો.
પરમાત્માએ આ સૃષ્ટિ સર્જી અને જીવન સર્જ્યું. મનુષ્યએ સૃષ્ટિમાં સ્થૂળ પ્રલોભનો સર્જ્યા અને એમાં મોહિત થઇ ભૌતિકવાદી બની રહ્યો. સુક્ષમ, અલૌકિક સંવેદનાઓ અને વૃત્તિઓ પ્રત્યે અજ્ઞાન થતો ગયો. પોતાનાજ મન અને અંતરાત્માથી અપરિચિત થતો ગયો.એટલેજ આજે મનુષ્ય ધર્મ અને અધર્મ વચ્ચે ભેદ સમજવામાં ગોથાં ખાય છે. જ્ઞાતિ, ધર્મ અને સંપ્રદાયના નામ પર સમાજમાં કેટલી વિષમતા અને ભેદભાવ સર્જાયા છે. અમુક મુદ્દાઓનો ઉકેલ તો મનુષ્યના અંતની સાથેજ આવશે. રાજકારણીઓ અને ધર્મગુરુઓ સાચાં છે કે ખોટા એ ખુદ નથી જાણતા હોતા છતાં લોકો એમને અનુસરે, એમના નામ પર લડે, હેવાનિયત પર ઉતરી આવે. અરે ! જરા થોભો, ઊંડો શ્વાસ લઇ એક ક્ષણ વિચાર તો કરો, શું કરી રહ્યાં છો, કેમ કરી રહ્યાં છો? કોના માટે કરી રહ્યાં છો? પોતાના, પરિવાર કે સમાજ માટે ઉચિત કરી રહ્યાં છો? આવનારી પેઢી માટે કેવી દુનિયા રચી રહ્યાં છો?
અંત: કરણથી કરેલા નિર્ણયોમાં બહુમતી નથી જોવાતી, એકલપંડે સાચો અને અઘરો માર્ગ ખેડતા માણસનો સાથ આપી શકાય છે, પોતે એ માર્ગ ખેડી પણ શકાય છે. એવો કયો અભાગો મનુષ્ય હશે જેને ખરેખર નહિ સમજાતું હોય કે એ ખોટા માર્ગે જઈ રહ્યો છે? હાં, ભૂલ થાય પણ એનો સ્વીકાર કરી સાચો માર્ગ કેમ ન પકડી શકાય? આપણે સ્વાર્થી વિચારોને વિવશ ન થઇ નિષ્પક્ષ રહી કર્મો આચરવા માટે સમર્થ ન બની શકીયે ? આજના યુગમાં સાચું બોલવું, શિષ્ટાચાર આચરવો, સંવેદના દર્શાવવી, સમર્પણ કરવું અને સમાધાન માટે પ્રયત્નો કરવા એ અગ્નિ પરીક્ષા આપવા સમાન છે. પરંતુ અગ્નિમાં શેકાનાર નેજ શુદ્ધિ અને ચમકનું વરદાન મળે છે, છેવટે એજ કિંમતી બને છે અને એનીજ કિંમત થાય છે. કુદરત આવા પરાક્રમીને ભવ્ય ઇનામોથી બિરદાવ્યા વિના રહેતી નથી.
આપણે જયારે મુસાફરી કરીએ ત્યારે મંજિલ પર પહોંચવા માટે GPS નો ઉપયોગ કરીએ છીએ. GPS આપણને ઘણાં રસ્તાઓના વિકલ્પ આપે છે. શોર્ટ-કટ કે લાંબો,ભારે ટ્રાફિક વાળો કે પછી એવો રસ્તો જે ઓછા લોકો પસંદ કરતા હોય. બધાંજ માર્ગ વહેલાં-મોડાં મંજિલ પર જરૂર પહોંચાડે છે. દરેક રસ્તાના પોતાના ગુણદોષ પણ હોય છે. એટલેજ આપણે ખાતરી કર્યાં પછીજ રસ્તો પસંદ કરીયે છીએ અને મુસાફરીનો આરંભ કરીએ છીએ. જિંદગીના પ્રવાસમાં આપણું કોઈ ટ્રસ્ટેડ GPS હોય તો એ આપણું ‘કોનસાઈન્સ’ છે. જિંદગીની પઝલ એ મેઝ પઝલ જેટલી સરળ નથી. મેઝ પઝલમાં આપણે સ્પષ્ટપણે જાણતાં હોઈએ છીએ કે એકજ સાચો રસ્તો છે અને એજ શોધવાનો છે. જયારે જીવનમાં ક્યારેય દેખીતી રીતે એ સમજાવવામાં નથી આવતું કે યથાર્થપણે શું સાચું કે ખોટું છે. આપણે અંતરના ઊંડાણમાં જઈને સમજણને સપાટી પર લાવી એને અનુલક્ષીને નિર્ણયો કરી બહુ બધા માર્ગો માંથી સાચો માર્ગ શોધવો પડે છે. ઉફ! ખરેખર આ જીવનની પઝલ અઘરી છે, દોસ્ત! અંતઃકરણ એ આપણાં દિમાગનો અવાજ છે અને હૃદયની લાગણી છે, જે આપણને જણાવે છે કે શું યોગ્ય છે કે અયોગ્ય, કોઈ જોતું હોય કે ન જોતું હોય એ હંમેશા સત્ય જ કહે છે.
ગર્ભથી લઈને મરણશૈયા સુધીના આપણાં જીવનકાળ દરમિયાન સારા-નરસા, કાળા-ધોળા, નૈતિક-અનૈતિક જેવા તમામ ગુણધર્મો ધરાવતા કર્મોની વિશાળ સૂચિ જીવન આપણી સમક્ષ પ્રસ્તુત કરે છે જેમાંથી આપણે વરણી કરવાની છે કે કઈ બાજુ ઢળીયે. દરેક વ્યક્તિ પાપ અથવા તો દુષ્કર્મ કરવા માટે લલચાય છે કારણ કે એનાથી ઇન્સ્ટન્ટ ગ્રેટીફિકેશન (ત્વરિત આનંદ) ગેરંટીડ હોય છે.પરંતુ દરેક પાસે પોતાની ભૂલો સુધારવાનો અને સાચાં માર્ગે વળવાનો એક મોકો પણ હોય છે. પસંદગી આપણી છે! એક અંગ્રેજી મુવી છે ડેવિલ્સ એડવોકેટ. એમાં ડેવિલના આ શબ્દો છે, “માયા અને મિથ્યાભિમાન ચોક્કસપણે મારું પ્રિય પાપ છે”. હું લોકોને એના તરફ આકર્ષવા મારા બનતા પ્રયાસ કરીશ.
કોઈપણ પરિસ્થિતિ, મૂંઝવણ કે દુવિધામાં જો માનવી નિરાંતે નિશ્ચલ થઇ શુદ્ધ મનથી નિર્ધાર કરે તો કોઈજ સંદેહ કે દ્વિધા વગર સચ્ચાઈના માર્ગ પર ચાલી શકે છે. પરંતુ એણે શાંત ચિત્તે વિચારવાં, સત્યને સ્વીકારવાં માટે કોઈજ સમય ફાળવવો નથી હોતો. જયારે સમય, સંજોગો અને કર્મોની થપાટ વાગે છે ત્યારે એ પરમાત્માને લલકારે છે, જવાબ માંગે છે. અફસોસ! ત્યારે એને કોઈજ જવાબ નથી મળતો. એ અવસર અને
પળ એ ચુકી ગયો હોય છે જયારે અંતરે સાદ આપ્યો હતો, સાચો માર્ગ ચીંધવા માટે પોકાર્યો હતો…!
Conscience is a Man’s Compass – Vincent Van Gogh
‘શબ્દો સંચાર પણ કરે છે અને સંહાર પણ, વિચારો વિકાસ પણ કરે છે અને વિનાશ પણ, કર્મો નિર્વાણ પણ અપાવે છે અને દંડ પણ’ આપણાં કર્મો આપણાં વિચારોથી પ્રભાવિત હોય છે, એને સાચો માર્ગ બતાવવો કેટલો જરૂરી છે એ આપણે નક્કી કરવું રહ્યું.
એ માર્ગ આપણે કોઈને પૂછવાનો નથી કે કોઈનો માર્ગ અનુસરવાનો નથી. આપણો માર્ગ આપણે ‘અંતઃકરણ’ થીજ નક્કી કરવાનો છે.