જિંદગી યેં તેરી ખરોચે હૈ મુજ પર યાં…ફિર તું મુજે તરાશને કી કોશિશ મેં હૈ?
આ માત્ર ગુલઝાર સાહેબનો પ્રશ્ન નથી, દરેક મનુષ્યને સમયાંતરે મૂંઝવતો આ પ્રશ્ન છે. ગઝલકારો, કવિઓ, કે લેખકો જિંદગી વિષે, એના અનુભવ વિષે રચનાત્મક રીતે વિશેષણો સાથે કંઈક જરૂર કહીં શકે પણ જિંદગી શું છે એ ચોક્કસપણે કોઈજ કહીં કે સમજાવી શકતું નથી કારણ કે જિંદગી જીવીને નેજ જાણી શકાય છે. જિંદગી નો શબ્દકોશ પ્રમાણે કોઈપણ અર્થ થતો હોય પણ વ્યવહારિક રીતે જિંદગીનો અર્થ ‘અનિશ્ચિતતા’ છે. ‘Life is certainly Uncertain’. માનવજીવન ક્યારેય સહેલું ન હતું. કુદરતી આફતો, જીવલેણ બીમારીઓ,વિશ્વ યુધ્ધો, સ્વતંત્રતા માટેના સંઘર્ષો,માનવસર્જિત આતંક,ગરીબી કે લાચારી માંથી આપણે ક્યારેય સંપૂર્ણપણે મુક્ત નથી થયાં. હાં, મુશ્કેલીઓ અને તકલીફોનો દર સાઈન વેવ ની જેમ ઉપર નીચે અવિરતપણે ઓસીલેટ કર્યાં કરે છે. એટલે જયારે મુશ્કેલીઓ ઘટે ત્યારે લાઈફ હેપનિંગ લાગે(પોઝિટિવ સાયકલ) અને જયારે પ્રતિકૂળતા પીક પર હોય ત્યારે જીવન અર્થહીન અને અત્યંત અઘરું લાગે છે.(નેગેટિવ સાયકલ).આ સમય( ૨૦૨૦-૨૦૨૧) બીજા વિશ્વ યુદ્ધ પછીનો કદાચ સૌથી આકરો, કઠિન અને દુષ્કર સમય છે, સમસ્ત વિશ્વ માટે. અનિશ્ચિતતા નો પારો આટલો ઊંચો ક્યારેય નહિ ગયો હોય જેટલો આજે ગયો છે. કાલે શું થશે ની ચિંતા, વ્યગ્રતા આટલી ક્યારેય નહતી સતાવતી જેટલી આજે સતાવે છે. ઈકોનોમી નું શું થશે? નોકરી જતી રહેશે તો? આવક બંધ થશે તો? સેન્સેક્સ નું શું થશે? ઘર કેમ ચાલશે? બાળકોના ભવિષ્ય નું શું થશે? નવો વાયરસ આવશે તો? બાયો વોર થશે તો? વતન પાછું જવાશે કે નહિ? માં-બાપને મળી શકીશું કે નહિ? ફરી પાછા ક્યારે ફેમ-જેમ કે સહપરિવાર પિકનિક કરીશું? આમજ ક્યાં સુધી જીવીશું? આ તો કંઈ જિંદગી છે કે જૈલ?
આ પ્રશ્નો આજે વિશ્વના દરેક વ્યક્તિને સતાવે છે, રડાવે છે, જગાડે છે, પાંગળા બનાવે છે. આપણા હાથમાં પહેલાં પણ કશુંજ નહતું પણ આજે એનો પુરેપુરો અહેસાસ આ પરિસ્થિતિ અપાવે છે. પૈસા હોવા છતાં વાપરી નથી શકતાં, સમય હોવા છતાં મળી નથી શકતાં, ડિગ્રી છે તો નોકરી નથી અને નોકરી છે તો પગાર નથી, ધંધો છે પણ આવક નથી, આવક છે તો સગાઓનો સાથ નથી. ક્યાંક કોઈ મરી ગયા એનું દુઃખ છે તો ક્યાંક કેમ એકલાં રહી ગયાં એનો સંતાપ! ક્યાંક કોઈ મગજથી લડી રહ્યું છે તો ક્યાંક કોઈ શરીર થી, ક્યાંક કાલની ફિકર છે તો ક્યાંક બે ટંક ખાવાનાં પણ ફાંફા છે. કોઈ શ્રદ્ધા ઉપર કાયમ છે તો કોઈ પ્રાર્થનાના આધારે ટકી રહ્યાં છે. આમજ, ખરેખર બધાંજ લડી રહ્યાં છે. ભવિષ્યની ચિંતામાં ડૂબેલા અને અનિશ્ચિતતાના જાળા માંથી નીકળવાં ક્ષુબ્ધ લોકો પંડિતો, બાબાજીઓ અને ધર્મગુરુઓને આશરે જાય છે. ભવિષ્ય ભાખનારાંઓ ભયભીત પણ કરે અને આશા પણ જગાડે, જેવી જેની શ્રદ્ધા! ભવિષ્યકથનની કલાઓ લોકોને કાઉન્સિલ કરવાં, થોડી સલાહ આપવા વિકસાવામાં આવી હતી, સ્પષ્ટ ભવિષ્ય કહેવા નહિ. જો સાચે એ ભાંખી શકાતું હોત તો દરેક ભવિષ્યવેત્તા ‘પરમ સુખી’ અને ‘પરિતૃપ્ત’ હોવા જોઈએ, એવું છે ખરું?
જીવનની અનિશ્ચિતતાને સ્વિકારી પણ લઈએ છતાં સકારાત્મક રીતે જીવવાનો કોઈ રસ્તો પણ હોવો જોઈએ ને? એ શક્તિ એ તાકાત કે મનોબળ ક્યાંથી લાવીએ જેના થકી આ આકરો સમય( નેગેટિવ સાયકલ ઓફ લાઈફ) સફળતાપૂર્વક પસાર કરી શકીયે? સવાર પડતાંવેંત સૂર્યના કિરણોની પહેલાં પડતાં મોટિવેશનના મેસેજીસ કેમ રોજે મગજને વાઇટાલિટી કે જોમથી ભરી નથી દેતા? ગમે તેટલો સારો મોટીવેશનલ વિડિઓ કે આર્ટિકલ હોય કેમ ડલ મોમેન્ટ્સ આવે ત્યારે યાદ નથી આવતાં? એનું કારણ છે કે જિંદગી એક મેરાથોન કરતાં પણ લાંબી દોડ છે. એ માત્ર કોઈને સરસ દોડતાં જોવાથી કે પ્રેરણાદાયક શબ્દો સાંભળવાથી જીવી નથી શકાતી. જેમ મેરાથોન દોડવા શરીરને ટ્રેઈન કરીએ તેમ જીવનની મેરાથોન દોડવા મગજને પણ ટ્રેઈન કરવું પડે છે. મોટિવેશનના ડોઝ અને સ્વ-પ્રયાસોથી મગજમાં એન્ટિબોડીઝ બનાવવી પડે છે જે ગ્લૂમી, નેગેટિવ વિચારો સામે લડે અને આપણને એના પ્રકોપથી બચાવે. સારું વાંચન સારા વિચારોનું સિંચન કરે છે પણ એના માટેનું કાર્ય આપણે મગજ પાસે કરાવવુંજ પડે છે. એક વાર નહિ વારંવાર, સતત. દારૂ,ચરસ, ગાંજા તરફ લોકો એટલેજ આકર્ષાય છે કારણ કે એ મગજને પરમ આનંદ નજીક લઇ જાય છે, ઇન્સ્ટન્ટલી બટ નોટ પર્મેનૅન્ટલી! મન અને મગજ પર કાબુ પામવો એટલો સહેલો નથી, ધૈય, ખંત અને અપાર પરિશ્રમ અનિવાર્ય છે. જો વિચારો પર નિયંત્રણ આવે તો જ મગજ પાસે આપણે ધાર્યું કામ કરાવી શકીયે છીએ.
નતાન શારાન્સકી-ઇઝરાયેલી પોલિટિશ્યન અને હુમન રાઈટ એકટીવિસ્ટ, ૧૯૪૮માં મૂળ જુઇશ પરિવારમાં USSR માં જનમ્યા હતા. એપ્લાઇડ મેથેમેટિક્સની ડિગ્રી હાંસલ કરી સિક્રેટ રિસર્ચ લેબમાં કાર્યરત હતાં ત્યારે ૧૯૭૭માં એમના પર જાસૂસી અને દેશદ્રોહના બહુવિધ આરોપો ઠપકારી ગિરફ્તાર કરવામાં આવ્યા હતાં. તેમને સ્ટ્રીક્ટ રેજિમેન કોલોનીમાં ખૂબ કડક શાશન હેઠળ જેલમાં રાખવામાં આવ્યાં હતાં. મોટા ભાગે એમને એકાંત કારાવાસ(૬ X ૮ ફૂટ) સેલમાં રાખવામાં આવેલા. શારીરિક અને માનસિક રીતે એટલો ત્રાસ ગુજારવામાં આવતો કે જીવતાં જીવ માણસ મરી જાય પણ એને મરવા દેવામાં ન આવે. ફોર્સ ફીડિંગ કરી જીવાડવામાં આવે. એમની શારીરિક સ્થિતિ ખૂબજ કથળી ગયી હતી. આ પરિસ્થિતિમાં નતાન ને પણ મરવાના ઘણાં વિચાર આવ્યાં પણ એ સમજી ગયાં હતાં કે પોતે મરી નહિ શકે, એ પણ એમના હાથમાં ન હતું. નાના હતાં ત્યારે એમને ચેસનો ભારે શોખ હતો, મેડલ પણ જીત્યા હતાં. એકાંત કારાવાસમાં પોતાના મગજને સાવધ અને સભાન રાખવા એ મેન્ટલી ચેસબોર્ડ વગર ચેસ રમતાં. પોતાની એકાગ્રતા અને વિઝ્યુલાઇઝેશનથી ચેસબોર્ડની કલ્પના કરી બંને તરફથી પોતેજ દાવ રમ્યા કરતાં. સ્વયંને પ્રોત્સાહિત રાખવાં વર્લ્ડ ચેસ ચેમ્પિયન બનવાનો ગોલ બનાવ્યો અને દિવસ-રાત ચેસની વિવિધ ચાલ અને યુક્તિઓ વિચારતાં. નવ વર્ષના કઠિન કારાવાસ પછી એમને મુક્ત કરવામાં આવ્યાં. જયારે એમને પૂછવામાં આવ્યું કે એમણે કેવી રીતે આવો ખોફનાક સમય વિતાવ્યો ત્યારે એમણે કહ્યું હતું કે મેં મગજને સમજદારીપૂર્વક કાર્યરત રાખ્યું, મગજને ચેલેન્જ કર્યું ચેસ વિચારવાં અને રમવાં માટે. જો મગજનું સંતુલન ગુમાવીયે તો શરીર પણ સાથ છોડી દે અને પીડા વધુ અસહ્ય બનતી જાય. એમણે કહ્યું હતું કે મને ખ્યાલ પણ ન હતો કે હું ક્યારેય જેલ માંથી મુક્ત પણ થઇ શકીશ. બાહ્ય પરિસ્થિતિ મારા અંકુશમાં ન હતી પણ મારું મગજ મારા નિયંત્રણમાં હતું. ૧૦ વર્ષ પછી વર્લ્ડ ચેસ ચેમ્પિયન ગેરી કસ્પોરોફ ઇઝરાયેલમાં આવ્યો હતો. રશિયન કસ્પોરોફ એકસાથે ૨૫ ગેમ્સ રમી શકતો હતો, ૨૫ ઓપ્પોનેન્ટ્સ એક તરફ અને ગેરી એક તરફ. ત્યારે નતાન શારાન્સકી એની સામેના એક ઓપોનેન્ટ હતાં અને શારાન્સકીએ ગેરી ને માત આપી હતી. મીડિયા રીપોર્ટર્સ એ જયારે શારાન્સકીને જીત નું રાઝ પૂછ્યું ત્યારે એમણે કહ્યું, ૯ વર્ષ જેલમાં મેં વર્લ્ડ ચેસ ચેમ્પિયનને મેન્ટલી હરાવ્યો હતો, આજે પ્રત્યક્ષ હરાવ્યો. This is the power of mind. Those who can conquer there minds can conquer any adversities.
જિંદગી ક્યારેક કોયડો લાગે, ક્યારેક રમત, ક્યારેક સ્વપ્ન, ક્યારેક એક પડકાર તો ક્યારેક એક આકરી પરીક્ષા…
જીવનનો મર્મ એને જીવંત રાખવામાં જ છે. જીવંત રહેવા માટે મગજને, શરીરને અને વિચારોને આપણાં પ્રમાણે ચલાવવાં પડે છે. નતાન શારાન્સકીના જેલના જીવન પરથી સમજાય છે કે કોઈપણ પરિસ્સ્થીતીનો સામનો કરવા માટે આપણે આપણી ગ્રીટ(grit ) અને એન્ડયોરન્સ (endurance ) કેળવવા પડે છે અને અમલમાં મૂકવાં પડે છે. આવતી કાલે શું થશે એના કરતાં આપણે કાલે શું કરીશું આપણાં શરીર, મન અને મગજ માટે એ વધારે અગત્યનું છે. સંજોગો શું સર્જશે એના ઉપર આપણું નિયમન નથી. જે બનશે એ આપણાં વશમાં નથી પણ આપણે શું બનીશું અને આપણી આસપાસ કેવું વાતાવરણ સર્જીશું એ માત્ર આપણાં ઉપર જ આધારિત છે. સામાન્ય માણસ માત્ર શરીરને પોષે છે, બુદ્ધિમાન માત્ર ભૌતિક ઈચ્છાઓને પરંતુ જ્ઞાની સભાન અવસ્થામાં શરીર, મન ને મગજ બધાંને પોષે છે.
બોધિસત્વમાં કહેવાય છે:
“Come what may, I’ll never harm
My cheerful happiness of mind.
Depression never brings me what I want;
My virtue will be warped and marred by it.
If there is a remedy when trouble strikes,
What reason is there for despondency?
And if there is no help for it,
What use is there in being sad?”
હતાશા, નિરાશા કે નકારાત્મક વિચારો આપણાં સદ્ગુણોને વિકૃત કરે છે.જો એ આપણાં પર કાબુ મેળવી લેશે તો આપણને ચોક્કસપણે નચાવશે. આપણે મદારી બનીયે કે માંકડું એ આપણાં હાથમાં છે. બાહ્ય પરિસ્થિતિઓ આપણાં માટે હરદમ અનુકૂળ નથી હોતી પરંતુ મોટા ભાગે આપણું વલણ પણ ઉચિત નથી હોતું. જે દર્દ કે પીડા આપનાર ઘટનાઓ બને છે એ ગણી શકાય એટલીજ હોય છે, પરંતુ, જે મોટાભાગના કષ્ટોથી આપણે પીડાઇએ છીએ એ આપણાં વ્યવહાર અને રિએકશનના પરિણામો હોય છે. જયારે આપણું મગજ આપણાં આનંદ, શાંતિ અને વિકાસની તરફેણમાં કામ કરે ત્યારેજ એ ઉજ્જવળ પરિણામો આપે છે.
‘Life is not only about feeling it its also about dealing with it ‘- Mittal
જિંદગી તારાથી હું થાક્યો નથી
તું જો થાકી જાય તો કે’જે મને
– ખલીલ ધનતેજવી
પડકારો, મુસીબતો, અડચણો, અને વિપરીત પરિસ્થિતિઓનો સામનો કરવાં માટે જો કોઈ મદદ આપણી પાસે હોઈ તો આ આપણી આંતરિક શક્તિ જ છે. આંતરિક શક્તિ એ એવી કિંમતી સંપત્તિ છે જેનો ઉપયોગ કરવાથી એ ખૂટતી નથી પરંતુ રિબાઉન્ડ થઇ બમણાં જોશથી આપણને સકારાત્મક રીતે કાર્યરત રાખે છે.
જિંદગી તરાશે, અજ્માવે કે નચાવે એના પ્રવાહ સાથે વેહતાં રહેવું એજ જીવન છે! ખલીલ ધનતેજવી સાહેબે કહ્યું તેમ, આપણે થાકવાનું નથી!